“મહાનતા ક્યારેય ના પડવા માં નહી, પણ પડીને પણ ઉભું થવામાં છે.”
હેવમોર આઈસ્ક્રીમ ! આહાહા હા….આ ગરમીમાં આ નામ સાંભળતાજ થોડીક રાહત થઇ હોય એવું લાગે છે. સોશિયલ મીડિયા પર ગરમીનો ટ્રેન્ડ શરુ થઇ ગયો હોય એવું લાગે છે. સૂર્યદેવ ૫૦ પર નોટઆઉટ છે ….હવે ક્યારે ઇન્દ્રદેવ આવીને એમની વિકેટ લઇ જશે,કે પછી પવનદેવ લઇ જશે ? (બહુ ના વિચારશો…પાછા ટોપિક પર આવીએ).
વાત હતી … હેવમોર આઈસ્ક્રીમ ની ! તમે ભાગ્યે જ નામ ના સાંભળ્યું હોય એવું બને. હેવમોર આઈસ્ક્રીમ નું સૌથી પેહલું મૂળ ક્યાં નંખાયું ? તમને વિશ્વાસ પણ નહી થાય કે હેવમોરનું સૌથી પેહલું મૂળ તમારા અને મારા પાડોશી પાકિસ્તાનના કરાચીમાં નંખાયું હતું. એટલે કે હેવમોર એ મૂળ પાકિસ્તાનની કહી શકાય પણ તે ભારતની કંપની છે. કેમ ? હવે જાણીએ .
હેવમોરની શરૂઆત, સંપૂર્ણ રીતે પડીને ફરીથી ઉભી થયેલી કંપની !
૧૯૪૪,એટલે કે ભારત દેશ આઝાદ થયો એ પેહલા સતીષ ચોના નામના એક એન્જીનીયરે પોતાની નોકરી છોડી,પોતાના કેરિયર તરીકે બિઝનેસમેન બનવાનું પસંદ કર્યું. તેમના આ નિર્ણયથી તેમના કોલેજના મિત્રો અચરજમાં મૂકી ગયા,અને સતીષને તેમના નિર્ણય અંગે સલાહો પણ આપી.
તેમણે ધંધો પસંદ કર્યો એ પણ શેનો? આઈસક્રીમનો ? પણ ખરેખર તો તેઓ આઈસ્ક્રીમ બનવામાં સંપૂર્ણ રીતે નિપૂર્ણ થઇ ગયા હતા. તેઓએ આઈસ્ક્રીમ બનાવતા તેમના કાકા દીનાનાથ ચોના પાસેથી આઈસક્રીમ શીખ્યા. તેમના નિર્ણય પર તટસ્થ રહીને હેવમોર ના નામે આઈસ્ક્રીમ શોપ શરુ કરી.(તેની શરૂઆતના કારણે આપણે એમ કહી શકીએ કે તે મૂળ પાકિસ્તાનની હતી.) તેમની આઈસ્ક્રીમ શોપ શારુઆતમાં ધીમી ધીમી પણ પછી સારી એવી ચાલવા લાગી. હેવમોરના ખુબ જ સરસ દિવસો ચાલી રહ્યા હતા. સતીષ રોજ નવી નવી રેસીપી જાતે બનાવી, તેમાં જેલી અને આઈસ્ક્રીમની સામગ્રીઓ નાખી નવા નવા નખરા પણ કરતા, આ રીતે નવા નવા ફ્લેવર પણ મળી જતા.
તેના ૩ વર્ષ પછી ખબર નથી સતીષ ચોનાના ભાગ્યને કોની નજર લાગી…૧૯૪૭ જયારે ભારત અને પાકિસ્તાનના જે દિવસ ભાગલા થયા એ રાત્રે સતીષ ચોનાને પોતાનો જીવ બચાવા માટે કરાચીમાં તેમનું જેટલું હતું એટલું બધું છોડીને ભારતમાં આવવું પડ્યું. તમને વિશ્વાસ પણ નહિ થાય,કે તેઓ કરાચીમાંથી એક પણ રૂપિયો લીધા વિના આવ્યા. કંઈ જ નહી ? હા કંઈ જ નહી ! પણ એક કિંમતી વસ્તુ તેઓ સાથે લાવ્યા હતા …“ત્રણ વર્ષનો આઈસ્ક્રીમ શોપનો અનુભવ”.

GujjuGEEK
તેઓ કરાચી છોડી , દેહરાદુન ગયા,ત્યાંથી ઇન્દોર ! ગમે તેમ કરીને મૂડી કરી ,પણ તેઓ નિષ્ફળ રહ્યા. ૧૯૫૧,તેઓ થોડી ગણી મૂડી લઇ અમદાવાદના રીલીફ રોડ પર એક મકાનમાં ભાડે રેહવા લાગ્યા. ત્યાર થોડા દિવસો બાદ અમદાવાદના રેલ્વે સ્ટેશન પર નાની હાથલારી પર આઈસ્ક્રીમ ફરીથી વેચવાનું શરુ કર્યું ને ફરીથી એક વાર હેવમોરની શરુઆત થઇ(હવે ખબર પડીને કે,કંપની કેમ અમદાવાદની કેહવાય ?). હેવમોરની ટેગલાઈન તેમણે “અચ્છાઈ,સચ્ચાઈ,સફાઈ” એવું રાખ્યું હતું.
બાપ શેર તો બેટા સવા શેર ! સતીષ ચોના બાદ ૧૯૭૦માં તેમના પુત્ર પ્રદીપ ચોના એ હેવમોરને ખુબ જ નોંધ પત્ર વેગ આપ્યો. તેમણે હેવમોર રેસ્ટોરંટની શરૂઆત કરી. તેમણે તેમના પિતાની ટેગલાઈનમાં છેડે “નવું શું છે ?” એવું ઉમેર્યું. કેમ કે આ ફેમસ બ્રાન્ડના ચાહકો રોજ રોજ નવા ફ્લેવર્સની આશા રાખતા હતા. ૧૯૮૦ બાદ પ્રદીપ ચોનાએ “ફ્લેવર ઓફ મન્થ” સિસ્ટમની શરૂઆત કરી. પ્રદીપ ચોનાના કેહવા પ્રમાણે ,૨૦૨૦ સુધીમાં હેવમોર ૧૦૦૦ કરોડની બ્રાન્ડ થઇ જશે.
હાલ હેવમોરની લગામ પ્રદીપ ચોના અને તેમના પુત્ર અંકિત ચોનાના હાથમાં છે. અંકિત ચોના હવે હેવમોર ને રેસ્ટોરાંની સાથે સાથે ફાસ્ટફૂડ સાથે પણ જોડી રહ્યા છે. તેઓ હેવમોર રેસ્ટોરાંને વધુ આગળ લઇ જવાના પ્રયાસોમાં જોડાઈ ગયા છે.હેવમોર હાલ પશ્ચિમ ભારતની એક અગ્રણી આઈસ્ક્રીમ કંપની છે. એટલે કે પશ્ચિમ ભારતમાં હેવમોરનો ઈજારો છે એમ કહો તો પણ ચાલે.
હેવમોર આઈસક્રીમ માં બીજી બધી કંપનીઓ ની જેમ ઈંડાનું મિશ્રણ નથી હોતું. હેવમોરનો આઈસ્ક્રીમએ ૧૦૦% શાકાહારી આઈસ્ક્રીમ છે. એટલે જ તો સતીષ ચોના એ …હેવમોરની ટેગલાઈન “અચ્છાઈ,સચ્ચાઈ,સફાઈ” રાખી હતી.
સતીષ ચોના માંથી શીખવા જેવી વાત !
- મહાનતા ક્યારેય ના પડવા માં નહી, પણ પડીને પણ ઉભું થવામાં છે. – ૧૯૪૭માં ભાગલા દરમિયાન તેમણે પોતાની ૩ વર્ષની મેહનત થી જે કંઈ મેળવ્યું હતું તે બધું જ ગુમાવ્યું હતું. ત્યાર પછી પણ તેમણે દેહરાદુન અને ઇન્દોર પણ નિષ્ફળતાનો સામનો કર્યો. અને ત્યાર બાદ અમદાવાદ આવ્યા અને આજે હેવમોર તમારી સામે છે.
- સબ સે બડા રોગ , ક્યાં કહેંગે લોગ. – જયારે સતીષ ચોનાએ પોતાની નોકરી છોડી ધંધો કરવાનો નિર્ણય લીધો ત્યારે ઘણા લોકો તેમણે સલાહો આપવા આવ્યા,સમજવા આવ્યા,પણ તેઓ તેમના નિર્ણય પર તટસ્થ રહ્યા અને સફળ રહ્યા અને આજે આપણે તેમણે ગાથા ગાઈએ છીએ.
- શીખેલું ક્યારેય નકામું ના જાય ! – સતીષ ચોનાએ કિશોર વયે જયારે એન્જીનીયરીંગ કરતા હતા ત્યારે જ તેમના કાકા પાસેથી આઈસ્ક્રીમ બનાવતા શીખી લીધું હતું. હવે એન્જીનીયરીંગ કરતો છોકરો ભાઈ શું કામ આઈસ્ક્રીમ બનાવતા શીખે ? પણ તેમણે જે શીખ્યું તેનાથી તેઓ એક સફળ બિઝનેસમેન થયા.